અરુણાચલ પ્રદેશનો વિવાદ વકર્યો: શાંઘાઈમાં ભારતીય યુવતી સાથે 18 કલાક દુર્વ્યવહાર, ભારતે ચીનને આપ્યો સ્પષ્ટ સંદેશ, જાણો શું કહ્યું?
India China dispute: ચીનના શાંઘાઈ એરપોર્ટ પર અરુણાચલ પ્રદેશની ભારતીય યુવતી પેમ વાંગ થૉંગડૉક સાથે 18 કલાકનો દુર્વ્યવહાર. ભારતે ભારપૂર્વક ચીનને કહ્યું, "કોઈ ભ્રમમાં ન રહેતા, અરુણાચલ અમારું જ છે!" આ આઘાતજનક ઘટના અને ભારત-ચીન સરહદ વિવાદ અંગે સંપૂર્ણ વિગતો જાણો.
અરુણાચલ પ્રદેશ મુદ્દે ચીનની દાદાગીરી અને ભારતનો મક્કમ જવાબ
India China dispute: તાજેતરમાં અરુણાચલ પ્રદેશની એક ભારતીય નાગરિક સાથે ચીનમાં ખુબ જ આઘાતજનક ઘટના બની છે, જેણે ભારત-ચીન સંબંધોમાં તણાવ વધુ વધાર્યો છે. પેમ વાંગ થૉંગડૉક નામની આ યુવતીએ ચીની ઇમિગ્રેશન અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે કે, 21 નવેમ્બરે શાંઘાઈના પુડૉંગ એરપોર્ટ પર તેને 18 કલાકથી વધુ સમય સુધી રોકી રાખવામાં આવી હતી અને હેરાન કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે ભારતે ચીનને સખત શબ્દોમાં સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, "ચીન ભ્રમમાં ન રહે, અરુણાચલ પ્રદેશ અમારું જ છે."
શું છે સમગ્ર મામલો?
આ ઘટના લંડનથી જાપાન જઈ રહેલી થૉંગડૉક સાથે બની, જ્યારે તે માત્ર 3 કલાકના ટ્રાન્ઝિટ સ્ટે માટે શાંઘાઈ પહોંચી હતી. તેણે 'X' (અગાઉ ટ્વિટર) પરની એક પોસ્ટમાં જણાવ્યું કે, ચીની ઇમિગ્રેશન અને ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સ કૉર્પોરેશન લિમિટેડના દાવાઓને કારણે તેને 21 નવેમ્બરની રાત્રે શાંઘાઈ એરપોર્ટ પર 18 કલાકથી વધુ સમય સુધી અટકાયતમાં રાખવામાં આવી હતી.
અધિકારીઓએ તેનો ભારતીય પાસપોર્ટ માન્ય ગણવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. તેમનો દાવો હતો કે પાસપોર્ટમાં દર્શાવેલું જન્મસ્થળ 'અરુણાચલ પ્રદેશ' છે, અને તેઓ તેને 'ચીનનો હિસ્સો' ગણાવતા હતા, તેથી પાસપોર્ટ 'અમાન્ય' છે. થૉંગડૉકના જણાવ્યા મુજબ, ચીની ઇમિગ્રેશન અધિકારીઓએ તેનો પાસપોર્ટ જપ્ત કરી લીધો અને તેની ભારતીય નાગરિકતાને માનવાનો પણ ઇનકાર કરી દીધો. જાપાનીઝ વિઝા હોવા છતાં, તેને આગળની ફ્લાઇટમાં ચઢતા રોકવામાં આવી, જે આંતરરાષ્ટ્રીય સફરના નિયમોનું સીધું ઉલ્લંઘન હતું.
શાંઘાઈ એરપોર્ટ પર 18 કલાકની હેરાનગતિ અને ચીની પાસપોર્ટની સલાહ
થૉંગડૉકે વધુમાં આક્ષેપ કર્યો કે ઘણા ઇમિગ્રેશન અધિકારીઓ અને એરલાઇન્સના સ્ટાફે તેની મજાક ઉડાવી અને તેને ચીની પાસપોર્ટ માટે અરજી કરવા સુધીની અજુગતી સલાહ આપી. તેને ભૂખ લાગવા છતાં ભોજન કે અન્ય એરપોર્ટની જરૂરી સુવિધાઓ પણ આપવામાં આવી ન હતી. અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી, તેણે યુકેમાં રહેતા એક મિત્ર મારફતે શાંઘાઈ સ્થિત ભારતીય કૉન્સ્યુલેટનો સંપર્ક કરવો પડ્યો. આખરે, કૉન્સ્યુલેટ દ્વારા હસ્તક્ષેપ કર્યા બાદ જ તે મોડી રાત્રે એરપોર્ટ પરથી બહાર નીકળી શકી અને તેની યાત્રા ફરી શરૂ કરી શકી, પરંતુ આ 18 કલાકનો અનુભવ તેના માટે ખુબ જ પીડાદાયક રહ્યો.
ભારતનો સણસણતો જવાબ અને વડાપ્રધાન મોદી પાસે હસ્તક્ષેપની માંગ
આઘાતજનક ઘટના બન્યાના તરત જ, ભારતે ચીનને સખત ભાષામાં જોરદાર જવાબ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે બેઇજિંગ અને નવી દિલ્હીમાં ચીની પક્ષ સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો અને શિકાગો-મોન્ટ્રિયલ કન્વેન્શનની યાદ અપાવી, જે આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા સંબંધિત નિયમોનું પાલન સુનિશ્ચિત કરે છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે ચીન કોઈ પણ ભ્રમમાં ન રહે અને એ સ્વીકારે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે.
@pemakhandu @kirenrijuju @PMOIndia I was held at Shanghai airport for over 18 hrs on 21st Nov, 2025 on claims by China immigration & @chinaeasternair They called my Indian passport invalid as my birthplace is Arunachal Pradesh which they claimed is Chinese territory. @cnnbrk
આ ઘટનાને ભારતની સાર્વભૌમતાનું સીધું અપમાન ગણાવતા, પેમ વાંગ થૉંગડૉકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય અધિકારીઓને ચીન સમક્ષ આ મુદ્દો ઉઠાવવા માટે અપીલ કરી છે. તેણે કેન્દ્ર સરકારને જવાબદારી નક્કી કરવા, કૉમ્પેન્સેશન માંગવા અને એ વાતની ખાતરી આપવા માટે વિનંતી કરી છે કે અરુણાચલ પ્રદેશના તમામ ભારતીયોને વિદેશ યાત્રા દરમિયાન આવા ભેદભાવથી ભવિષ્યમાં બચાવી શકાય.
અરુણાચલ પ્રદેશ પર ભારતનું સ્પષ્ટ અને મક્કમ વલણ
અરુણાચલ પ્રદેશ પર ચીનના દાવાઓ અને તેના અર્થહીન પ્રયાસોને ભારતે હંમેશા નકારી કાઢ્યા છે. ચીન આ વિસ્તારને 'ઝંગનાન' અથવા 'તિબેટનો દક્ષિણી હિસ્સો' કહીને પોતાનો દાવો કરતું રહે છે. મે મહિનામાં પણ, ચીને ઉત્તર-પૂર્વના આ રાજ્યમાં 27 સ્થળોના ચીની નામ રાખવાની વાત કરી હતી, જેમાં મુખ્યત્વે 15 પર્વતો, 4 ઘાટ, 2 નદીઓ, 1 તળાવ અને 5 વસવાટવાળા વિસ્તારોનો સમાવેશ થતો હતો. આના જવાબમાં ભારતે સ્પષ્ટ કહ્યું હતું કે ભારતીય વિસ્તારોના નામ બદલવાના કોઈપણ પ્રયાસોથી એ સનાતન સત્ય નહીં બદલાય કે આ રાજ્ય હંમેશા ભારતનો અભિન્ન અંગ હતું, છે અને રહેશે.
તાજેતરની આ ઘટના ચીનની સરહદી વિસ્તારો પ્રત્યેની આક્રમક નીતિ અને આંતરરાષ્ટ્રીય નિયમોની અવગણના દર્શાવે છે. ભારતે ચીનને સ્પષ્ટ સંદેશો પાઠવી દીધો છે કે આવા કૃત્યો સહન કરવામાં આવશે નહીં અને તેની સાર્વભૌમતા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.