Income Tax AI: આવકવેરા ખાતું પણ હવેથી AIની મદદથી બેન્ક ખાતાં પર રાખશે નજર, જાણો કેવા લોકો રડારમાં
Bank Account Monitoring: આવકવેરા વિભાગે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બેન્ક ખાતાં પર સઘન નજર રાખવાનું શરૂ કર્યું છે. જો તમારા બચત ખાતામાં ખર્ચની તુલનામાં સિલક વધારે હશે, તો વિભાગ પૂછપરછ કરી શકે છે. જાણો કેવા ટેક્સ પેયર્સ હવે આવકવેરાના રડારમાં છે અને કરચોરીની નવી પદ્ધતિઓ.
વિભાગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીની મદદ લઈને બેન્કના ખાતાંઓ પર સઘન મોનિટરિંગ શરૂ કરી દીધું છે.
Bank Account Monitoring: આવકવેરા વિભાગે કરચોરી પકડવા માટે હવે એક મોટું પગલું ભર્યું છે. વિભાગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીની મદદ લઈને બેન્કના ખાતાંઓ પર સઘન મોનિટરિંગ શરૂ કરી દીધું છે. આ નવી પદ્ધતિ ખાસ કરીને એવા ટેક્સ પેયર્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમના બેન્ક ખાતાંમાં જમા રકમ અને ઉપાડ વચ્ચે મોટો તફાવત જોવા મળે છે.
AI આધારિત ટ્રેકિંગ: નાણાંના સોર્સની તપાસ
આયકર વિભાગની AI સિસ્ટમ હવે કરદાતાના પાન કાર્ડ સાથે જોડાયેલા સમગ્ર વર્ષના નાણાકીય વ્યવહારોનું ઊંડું વિશ્લેષણ કરે છે. આ વિશ્લેષણનો મુખ્ય ઉદ્દેશ એવા ખાતાઓ શોધવાનો છે, જ્યાં બચત ખાતા (સેવિંગ્સ એકાઉન્ટ)માં અસામાન્ય રીતે ઊંચું બેલેન્સ હોય, પણ રોકડ ઉપાડ કે ડેબિટ ટ્રાન્ઝેક્શન (ખર્ચ) ખૂબ ઓછા હોય.
સામાન્ય રીતે, એવું માનવામાં આવે છે કે એક વ્યક્તિ પોતાની આવકનો લગભગ 30 ટકાથી 40 ટકા ભાગ જીવનજરૂરિયાતની વસ્તુઓ અને ખર્ચાઓ માટે વાપરે છે. જો કોઈ પગારદાર કરદાતાના ખાતામાં પગાર જમા થયા પછી ખર્ચ ઓછો થતો હોય અને સિલક સતત વધતી હોય, તો આવકવેરા વિભાગ તે નાણાંના સોર્સ વિશે સ્પષ્ટતા માંગી શકે છે.
ડેટા એનાલિસિસથી પકડાયા રહસ્યમય ટ્રાન્જેક્શન્સ
છેલ્લા કેટલાક મહિનાઓમાં AI-આધારિત ટ્રેકિંગ દ્વારા વિભાગે ઘણા કિસ્સાઓ શોધી કાઢ્યા છે. આ કિસ્સાઓમાં, વ્યક્તિઓએ બેન્કમાં મોટી રકમ જમા કરાવી હતી, પરંતુ ખર્ચ માટે ખૂબ જ ઓછી રકમનો ઉપાડ કર્યો હતો.
તપાસ અને ડેટા એનાલિસિસ દરમિયાન એવું બહાર આવ્યું કે ઘણા ખાતાધારકો વર્ષોથી પગારના ખાતામાંથી માત્ર નાની રકમ જ ઉપાડતા હતા. જ્યારે વિભાગે તેમને નોટિસ મોકલી, ત્યારે ઘણા લોકો રોજિંદા ખર્ચ, બાળકોની ફી અને અન્ય જરૂરિયાતો માટે પૈસા ક્યાંથી આવ્યા તે સમજાવી શક્યા નહીં.
બ્લેક મનીનો ઉપયોગ અને કરચોરીની શંકા
બેન્કના રેકોર્ડ્સ દર્શાવે છે કે આવા ખાતાઓમાં રોકડ ઉપાડ ખૂબ જ ઓછી હતી. આવકવેરા અધિકારીઓએ તારણ કાઢ્યું છે કે આ ટેક્સ પેયર્સ જાહેર ન કરેલી કે ગુપ્ત આવક (બ્લેક મની)નો ઉપયોગ તેમના દૈનિક ખર્ચાઓ માટે કરી રહ્યા હતા. આ નાણાંને તેઓ પોતાની આવકમાં બતાવતા નહોતા, જે સીધી રીતે કરચોરી ગણાય છે. આવા કિસ્સાઓમાં કરચોરીની સંભાવના માનીને વિભાગે હવે નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે.
પગારદાર ટેક્સ પેયર્સ માટે નવી ચેતવણી
એક વરિષ્ઠ આવકવેરા અધિકારીના જણાવ્યા મુજબ, અગાઉ આ પ્રકારની કરચોરીની પદ્ધતિ મોટે ભાગે વેપારી વર્ગમાં જોવા મળતી હતી, જેમાં વ્યક્તિગત ખર્ચને કંપનીના ખર્ચ તરીકે બતાવવામાં આવતા હતા. પરંતુ હવે આ રીત પગારદાર ટેક્સ પેયર્સ પણ અપનાવી રહ્યા છે.
ઉદાહરણ તરીકે, એક પગારદાર કરદાતા પગાર ઉપરાંત ભાડે આપેલી મિલકતનું ભાડું રોકડેથી લે છે અને આ ભાડાની આવક પોતાના આવકવેરા રિટર્નમાં દર્શાવતો નથી. આવકવેરાના કાયદા મુજબ, કોઈપણ પ્રકારની આવક જાહેર કરવી ફરજિયાત છે. AIની મદદથી, વિભાગ હવે જાહેર કરેલી આવક અને વાસ્તવિક ખર્ચ વચ્ચેના તફાવતને સરળતાથી ઓળખી શકે છે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે આવકવેરા વિભાગ હવે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કરચોરીના પ્રયાસોને રોકવા માટે સક્રિય થઈ ગયો છે.