Sri Lanka corruption: શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સપ્ટેમ્બર 2023માં લંડનની યાત્રા દરમિયાન તેમની પત્ની મૈત્રી વિક્રમસિંઘેના સન્માનમાં આયોજિત એક સમારોહમાં હાજરી આપવા માટે સરકારી નાણાંનો દુરુપયોગ કર્યાનો આરોપ તેમના પર મૂકાયો છે. આ ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી, અને તેના આધારે વિક્રમસિંઘેની ધરપકડ કરવામાં આવી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાનિલ વિક્રમસિંઘેને કોલંબો ફોર્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. તેમના પર આરોપ છે કે તેમણે વ્યક્તિગત હેતુઓ માટે દેશના સંસાધનોનો ઉપયોગ કર્યો. 2023માં G-77 સમિટમાં હાજરી આપવા હવાના ગયેલા વિક્રમસિંઘે પરત ફરતી વખતે લંડનમાં રોકાણ કર્યું હતું. આ દરમિયાન તેમણે અને તેમની પત્ની મૈત્રીએ વોલ્વરહેમ્પ્ટન યુનિવર્સિટીમાં એક સમારોહમાં ભાગ લીધો હતો.
વિક્રમસિંઘેએ દાવો કર્યો હતો કે તેમની પત્નીની યાત્રાનો ખર્ચ તેમણે જાતે ઉઠાવ્યો હતો અને તેમાં સરકારી નાણાંનો ઉપયોગ થયો નથી. જોકે, પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ યાત્રા દરમિયાન તેમના બોડીગાર્ડનો ખર્ચ સરકારી તિજોરીમાંથી કરવામાં આવ્યો હતો, જેના આધારે પોલીસે તેમની સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો.
આ કેસમાં આગળની તપાસ ચાલુ છે, અને શ્રીલંકાની જનતા આ ઘટનાને લઈને નજર રાખી રહી છે. આ ધરપકડથી દેશના રાજકીય વાતાવરણમાં પણ ગરમાવો આવ્યો છે.