India-China relations: ચીનના તિયાનજિન શહેરમાં શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે એક મહત્વની દ્વિપક્ષીય બેઠક યોજાઈ. આ 40 મિનિટની બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત-ચીન સંબંધોને મજબૂત કરવા અને આર્થિક તેમજ રાજનૈતિક સહયોગ વધારવા પર ચર્ચા કરી. આ મુલાકાતે વૈશ્વિક સ્તરે ધ્યાન ખેંચ્યું છે, કારણ કે આ બેઠક ગલવાન ઘાટીના તનાવ બાદ બંને દેશો વચ્ચે સંબંધો સુધારવાનો એક મહત્વનો પ્રયાસ હોઈ શકે છે.
વડાપ્રધાન મોદીએ શી જિનપિંગને SCOની સફળ અધ્યક્ષતા માટે અભિનંદન આપ્યા અને બેઠકના આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “આપણા વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે સરહદ વ્યવસ્થાપન અંગે સહમતિ થઈ છે. કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થઈ છે, અને બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટ્સ પણ જલદી શરૂ થશે.” મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત અને ચીનના 280 કરોડ લોકોના હિતો આ સહયોગ સાથે જોડાયેલા છે, જે વૈશ્વિક કલ્યાણનો માર્ગ પણ ખોલશે. તેમણે ઉમેર્યું કે બંને દેશો પરસ્પર વિશ્વાસ, સન્માન અને સંવેદનશીલતાના આધારે સંબંધોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.
આ મુલાકાતનું મહત્વ ત્યારે વધુ વધી ગયું જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ નિર્ણયોએ ભારત અને ચીન બંનેને અસર કરી. આ બેઠક માત્ર રાજનૈતિક સંબંધુંની રિપેરિંગ સુધી જ નહીં, પરંતુ આર્થિક અને વ્યૂહાત્મક સ્તરે નવી શક્યતાઓ ખોલવાનો સંકેત આપે છે. ગલવાન વિવાદ બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં આવેલી ખટાશને દૂર કરવાની આ એક નવી શરૂઆત હોઈ શકે છે.
આ બેઠક એશિયામાં નવી શક્તિના ઉદયનો માર્ગ મોકળો કરી શકે છે. હવે સૌની નજર આ વાત પર છે કે શું આ મુલાકાત ભારત-ચીન સંબંધોમાં નવી ગરમી લાવશે અને બંને દેશો વચ્ચેનો સહયોગ વૈશ્વિક સ્તરે નવું સંતુલન સ્થાપશે.