અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આવી જ એક અડગ મનની ખેડૂત દિકરી છે બારડોલીની. જેણે બંજર જમીનને પણ ફળદ્રુપ બનાવી દીધી. આ મહિલા ખેડૂતે નાસીપાસ થઈને આપઘાત કરવાનું વિચારતા ખેડૂતો માટે બની છે પ્રેરણાસ્ત્રોત.
ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ગામની વાત આવે એટલે દરિયો અને ખાળપાટ જમીનની વાત આવે..ખાળયુક્ત જમીનમાં ખેતી કરવી એટલે અશક્ય અને આ અશક્ય ખેતીને શક્ય કરી બતાવનાર ખેડૂત દીકરી એટલે લતાબેન પટેલ, લતાબેન પટેલ પાસે ઓલપાડ તાલુકાના મંદ્રોઈ ગામની સીમમાં ૨૦ વીઘા જમીન આવેલી છે. પરંતુ આ જમીનમાં ઘાસ પણ થતું નથી તો પછી ખેતીની તો વાત જ દૂર રહી. પરંતુ લતાબેને આ બંજર ધરતી પર આશારૂપી હળ ફેરવ્યું. જેમાં તેમને ત્રણ વર્ષ સુધી માત્ર નિષ્ફળતાનું નિંદણ જ મળ્યું, પણ તેમણે હાર ન માની.
ત્યારબાદ એક પછી એક દેશી ગીર ગાય વધતી ગઈ આજે તેમની પાસે ૪૦ જેટલી ગીર ગાય તેમના ગોશાળામાં છે. ગોબર અને ગોમૂત્રના ઉપયોગથી જમીનને નવસાધ્ય બનાવી આજે લતાબેન સ્વાભિમાનથી જીવી રહ્યા છે અને જમીનમાં સારું ઉત્પાદન લઇ રહ્યા છે.
લતાબેનની મહેનતને સરકારી યોજનાનું પીઠબળ પણ મળ્યું..તેઓ સરકારી યોજનામાં ૫૦૦ ફૂટ પી.વી.સી પાઈપની સહાય મેળવી ત્યારબાદ સરકાર દ્વારા ખેત તલાવડી બનાવી આપવામાં આવી અને આ ખેતતલાવડીમાં ચોમાસાનું પાણી સંગ્રહ કરી ખેતીમાં ઉપયોગ કરતા હતા, ડ્રિપ ઈરીગેશન અને મંડપ યોજનાનો પણ લાભ લીધો. અને પોતાની જમીનમાં સફળ ખેતી કરી રહ્યા છે.
લતાબેને બંજર જમીનમાં પરિશ્રમ રૂપી બીજ રોપ્યું અને સરકારે તેમાં વિવિધ યોજનાથી સિંચન કર્યું. જેને પગલે આજે લતાબેન એક સફળ ખેડૂત બન્યા છે. સાથે જ અન્યો માટે એક ઉદાહરણ પણ.