2020માં રાજકારણના સૌથી મોટા સમાચાર સાથે તો પૂર્વ કોંગ્રેસ નેતા અને રાહુલ ગાંધીના નજીકના ગણાતા જ્યોતિરાદિત્ય સિંધિયા આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ દિલ્હીના ભાજપ હેડક્વાર્ટરમાં ભાજપમાં સ્વાગત કર્યું છે. જે પી નડ્ડાએ તેમનું સ્વાગત કરતા કહ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા લોકોની સેવા માટે ઘણા કારગર સાબિત થશે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના નેતૃત્વ પર પ્રહાર કર્યા અને સાથે એમ પણ કહ્યું કે વડાપ્રધાન મોદીના હાથમાં દેશ સુરક્ષિત છે. સિંધિયાએ કોંગ્રેસમાંથી ગઇકાલે રાજીનામું આપ્યું છે અને તેમની સાથે મધ્યપ્રદેશના 22 કોંગ્રેસ ધારાસભ્યોએ પણ ગવર્નરને રાજીનામું મોકલી દીધું છે.
આ રાજકારણ વચ્ચે હાલ ભોપાલથી કોંગ્રેસના 95 ધારાસભ્યોને જયપુરની એક હોટેલમાં રાખવામાં આવી રહ્યા છે જ્યારે ભાજપે પણ તેના ધારાસભ્યોને ગુરૂગ્રામની એક હોટેલમાં રાખ્યા છે.