રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં થોડા દિવસથી કમોસમી વરસાદ થઇ રહ્યો છે. ત્યારે આગામી પાંચથી સાત દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે અમદાવાદ હવામાન વિભાગ દ્વારા અનુમાન આપવામાં આવ્યુ છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, આગામી પાંચથી સાત દિવસમાં ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.
રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મોટાભાગે ફેરફાર થવાની સંભાવના નથી. આ સાથે તેમણે જણાવ્યુ કે, દાહોદ, મહીસાગર, પંચમહાલ, અરવલ્લીમાં હાલ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. રાજ્યમાં આજે સૌથી ઓછું તાપમાન નલિયામાં 9.8 ડિગ્રી નોંધાયુ હતુ.
આજરોજ સવારે અમદાવાદ ખાતે પણ 17.8 ડિગ્રી સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જયારે આજે સવારે અમરેલીમાં 16.6 ડિગ્રી, વડોદરામાં 17.6 ડિગ્રી અને રાજકોટ શહેરમાં સવારે 90 ટકા ભેજ સાથે 16.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા ઠંડક અનુભવાઈ હતી.
ભાવનગરમાં આજે સવારે 18.5 ડિગ્રી, ભૂજમાં 15.6 ડિગ્રી, ડીસામાં 17, દિવમાં 18.5, અને દ્વારકામાં 18.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. તેમજ આજે સવારે ગાંધીનગર ખાતે 17.4 ડિગ્રી, કંડલામાં 18.5, સુરેન્દ્રનગરમાં 16.4, પોરબંદર અને વેરાવળ ખાતે 16.4, પોરબંદર અને વેરાવળ ખાતે 19 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ઉલ્લેખનિય છે કે, આજરોજ સવારે પણ રાજયના મોટાભાગના સ્થળોએ 80થી 90 ટકા સુધીનો ભેજ નોંધાતા સવારના ભાગે ધુમ્મસ સાથે આહલાદક વાતાવરણ છવાયું હતું.