ઘણા દેશો પોતાના નાગરિકોને દ્વિ-રાષ્ટ્રીયતા સ્વીકારવાની મંજૂરી આપે છે. પરંતુ ભારતમાં એમ નથી. ભારતીય નાગરિકે અન્ય દેશમાં જઈને વસવાટ કર્યો હોય અને તેને ત્યાંની નાગરિકતા જોઈતી હોય તો ભારતનું નાગરિકત્વ જતું કરવું પડે છે. હાલમાં જ વિદેશમાં વસેલા ભારતીય નાગરિકોને દ્વિ-રાષ્ટ્રીયતા આપવા અંગે વિદેશ મંત્રી એસ. જયશંકરે વાત કરી હતી. શુક્રવારે વિદેશ મંત્રીએ જણાવ્યું કે, વિદેશમાં રહેતા ભારતીયોને બેવડી નાગરિકતા આપવામાં ઘણી જટિલતા છે. ચેન્નાઈમાં ભારતીય ઉદ્યોગ સંઘ (CII) આયોજિત 20મી યંગ ઈન્ડિયન્સ નેશનલ સમિટ 'ટેકપ્રાઈડ 2023'માં ઉદ્યોગ સાહસિકો સાથેના સંવાદમાં એસ. જયશંકરે બેવડી નાગરિકતાના મુદ્દે ટિપ્પણી કરી હતી.
એસ. જયશંકરે કહ્યું કે, "ડ્યુઅલ સિટિઝનશીપ આપવામાં સુરક્ષા અને આર્થિક બાબતોને લગતા પડકારો છે. કયા દેશોમાં રહેતા ભારતીય નાગરિકોને દ્વિ-રાષ્ટ્રીયતા આપવી તે પણ એક મોટો પડકાર છે. ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઈન્ડિયા (OCI)ની વધતી માગને પહોંચી વળવા માટે બેવડી નાગરિકતા આપવા અંગે વિચારણા કરી શકાય. પરંતુ હજી પણ બેવડી નાગરિકતાના મુદ્દે ચર્ચા-વિચારણા ચાલુ છે." ઉલ્લેખનીય છે કે, ભારતમાં વસેલા ભારતીય ઉદ્યોગ સાહસિકોને વેપાર કરવામાં સરળતા રહે અને તેમના માટે બેવડી નાગરિકતાની સંભાવના કેટલી છે તે અંગેનો સવાલ સમિટમાં એક પાર્ટિસિપન્ટે પૂછ્યો હતો. જેના જવાબમાં એસ. જયશંકરે આ વાત કરી હતી.
અગાઉ સમિટમાં જયશંકરે કહ્યું હતું કે, જ્યારે પણ તેઓ ભારત અંગે વિચારે છે ત્યારે તેમને દેશને આકાર આપતાં ત્રણ ટી- ટેલેન્ટ, ટેક અને ટ્રેડિશન અર્થાત્ પ્રતિભા, ટેક્નોલોજી અને પરંપરા યાદ આવે છે.