PNGRBએ ગ્રાહકો, ડિસ્ટ્રિબ્યુટર્સ, સિવિલ સોસાયટી અને અન્ય હિતધારકો પાસેથી સૂચનો માંગ્યા છે, જેથી LPG સપ્લાયની સાતત્યતા જળવાઈ રહે અને ગ્રાહકોનો વિશ્વાસ વધે.
Consumer Rights: જો તમે તમારા LPG ડિસ્ટ્રિબ્યુટરની સર્વિસથી નાખુશ છો, તો તમારા માટે સારા સમાચાર છે! મોબાઈલ નંબર પોર્ટેબિલિટીની જેમ, હવે રસોઈ ગેસ ગ્રાહકો પણ તેમના LPG કનેક્શનને બદલ્યા વિના ડિસ્ટ્રિબ્યુટર કે કંપની બદલી શકશે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) એ આ માટે ‘LPG ઇન્ટરઓપરેબિલિટી’નો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને હિતધારકો તેમજ ગ્રાહકો પાસેથી સૂચનો માંગ્યા છે.
પોર્ટેબિલિટીની શરૂઆત 2013માં થઈ હતી
ભારત સરકારે ઓક્ટોબર 2013માં 13 રાજ્યોના 24 જિલ્લાઓમાં LPG પોર્ટેબિલિટીનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જાન્યુઆરી 2014માં આ સુવિધા દેશભરના 480 જિલ્લાઓમાં વિસ્તારવામાં આવી. જોકે, તે સમયે ગ્રાહકો માત્ર ડિસ્ટ્રિબ્યુટર બદલી શકતા હતા, કંપની બદલવાનો વિકલ્પ નહોતો. કાનૂની મર્યાદાઓને કારણે, એક કંપનીનું સિલિન્ડર ફક્ત તે જ કંપનીમાં રિફિલ માટે જઈ શકતું હતું.
હવે કંપની બદલવાની પણ સુવિધા
PNGRB હવે ગ્રાહકોને LPG કંપની બદલવાની સ્વતંત્રતા આપવા માગે છે. બોર્ડનું કહેવું છે કે જો ડિસ્ટ્રિબ્યુટરને સ્થાનિક સમસ્યાઓનો સામનો કરવો પડે, તો ગ્રાહકો પાસે વિકલ્પો ઓછા હોય છે, જેના કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. PNGRBએ જણાવ્યું, “ગ્રાહકોને LPG કંપની કે ડિસ્ટ્રિબ્યુટર પસંદ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ, ખાસ કરીને જ્યારે સિલિન્ડરની કિંમત સમાન હોય.”
નવા નિયમો અને દિશાનિર્દેશો બનશે
PNGRBએ ગ્રાહકો, ડિસ્ટ્રિબ્યુટર્સ, સિવિલ સોસાયટી અને અન્ય હિતધારકો પાસેથી સૂચનો માંગ્યા છે, જેથી LPG સપ્લાયની સાતત્યતા જળવાઈ રહે અને ગ્રાહકોનો વિશ્વાસ વધે. આ સૂચનોના આધારે, PNGRB LPG પોર્ટેબિલિટી માટે નિયમો અને દિશાનિર્દેશો તૈયાર કરશે અને તેને દેશભરમાં લાગુ કરવાની તારીખ જાહેર કરશે.
ગ્રાહકોને શું ફાયદો થશે?
આ નવી સુવિધા ગ્રાહકોને વધુ વિકલ્પો અને બહેતર સર્વિસ આપશે. જો તમને તમારા ડિસ્ટ્રિબ્યુટર કે કંપનીની સર્વિસ ગમતી ન હોય, તો તમે સરળતાથી બીજી કંપની પસંદ કરી શકશો. આ નિયમથી ગ્રાહકોની સુવિધા વધશે અને LPG સપ્લાયમાં પારદર્શિતા આવશે.