અયોધ્યા શ્રી રામ મંદિર પર ધ્વજારોહણ: પાકિસ્તાનનો UNમાં પાયાવિહોણો પ્રલાપ અને બેવડો દંભ ખુલ્લો પડ્યો
અયોધ્યામાં શ્રી રામ મંદિરના શિખર પર ધ્વજારોહણ થતાં જ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે UNમાં પાયાવિહોણા આક્ષેપો કર્યા. ભારતમાં લઘુમતીઓ સામે કથિત ભેદભાવનો આરોપ મૂક્યો, જ્યારે પોતાના દેશમાં હિન્દુ મંદિરોની દુર્દશા પર મૌન સેવ્યું. જાણો પાકિસ્તાનનો બેવડો દંભ અને UNમાં તેની અપીલ વિશે.
પાકિસ્તાનનો UNમાં પાયાવિહોણો પ્રલાપ અને બેવડો દંભ ખુલ્લો પડ્યો
અયોધ્યામાં શ્રી રામ મંદિરના શિખર પર 25 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ધ્વજા સ્થાપિત કરવામાં આવતા જ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ મામલે પોતાનું નિવેદન જાહેર કરીને રાજદ્વારી દંભનું પ્રદર્શન કર્યું છે. પાકિસ્તાને આ બનાવને ભારતમાં મુસ્લિમ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને જાણી જોઈને નાશ કરવાના પ્રયાસો તરીકે ગણાવ્યો છે, જે ભારતમાં ધાર્મિક લઘુમતીઓ પર દબાણ લાવવાની મોટી પેટર્નનો ભાગ હોવાનો પાયાવિહોણો આરોપ મૂક્યો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, જે પાકિસ્તાની વિદેશ મંત્રાલય પોતાના જ દેશમાં હિન્દુઓ સહિતની ધાર્મિક લઘુમતીઓ પર થતા શોષણ, દુષ્કર્મ અને હત્યાઓ જેવી ગંભીર ઘટનાઓ પ્રત્યે હંમેશા અવગણના કરે છે, તેણે ભારત સામે આ પ્રકારના ખોટા આક્ષેપો કર્યા છે.
રામ મંદિરનું નિર્માણ ભારતીય સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ થયું છે, તેમ છતાં પાકિસ્તાનના વિદેશ વિભાગે આ નિર્ણયને અવગણ્યો છે. પાકિસ્તાને બાબરી મસ્જિદને "એક સદી જૂનું ઐતિહાસિક સ્થળ" ગણાવી, 6 ડિસેમ્બર 1992ની ઘટનાનો ઉલ્લેખ કર્યો અને ભારતીય તંત્ર લઘુમતીઓ સાથે ભેદભાવ કરે છે તેવા વાહિયાત પ્રોપગન્ડા ફેલાવતા આરોપ લગાવ્યા.
પાકિસ્તાનની બેવડી નીતિ અને હિન્દુ મંદિરોની દુર્દશા
પાકિસ્તાનની સરકાર એક તરફ ભારતમાં હિન્દુત્વની વિચારધારા હેઠળ મુસ્લિમ સાંસ્કૃતિક વારસાને ખતમ કરવાના પ્રયાસોનો આરોપ મૂકે છે, ત્યારે બીજી તરફ, તેના પોતાના દેશમાં હિન્દુઓના ઐતિહાસિક અને પૌરાણિક વારસાઓ ધૂળ ખાઈ રહ્યા છે. પાકિસ્તાનમાં શારદા પીઠ મંદિર, કરાચીનું 150 વર્ષ જૂનું જાગનાથ મંદિર અને રાવલપિંડીનું 1930માં બનેલું મોહન મંદિર જેવા મહત્ત્વપૂર્ણ હિન્દુ ધાર્મિક સ્થળો લુપ્ત થવાના આરે છે, જેના પર સરકાર અને સ્થાનિક લોકો દ્વારા કબજો જમાવી લેવાયો છે. આ ગંભીર મુદ્દાઓ પર એક પણ શબ્દ ન બોલનારું પાકિસ્તાન, ભારત પર એવા ખોટા આક્ષેપો કરી રહ્યું છે કે અહીં મસ્જિદો પર ખતરો છે અને તેને નષ્ટ કરવામાં આવી રહી છે.
પાકિસ્તાનની રાજકીય એજન્ડા અને આંતરરાષ્ટ્રીય સ્તરે દખલગીરીની માંગ
રામ મંદિરના બહાને પાકિસ્તાને પોતાનો રાજકીય એજન્ડા પૂરો કરતા દાવો કર્યો છે કે, ભારતીય મુસલમાનો સાથે સામાજિક, આર્થિક અને રાજકીય ભેદભાવ ઝડપથી વધી રહ્યો છે. પાકિસ્તાને બેશર્મીની હદ વટાવતા સંયુક્ત રાષ્ટ્ર (UN) ને વિનંતી કરી છે કે તેઓ ભારતમાં વધી રહેલા કથિત ઇસ્લામોફોબિયા, હેટ સ્પીચ અને નફરત આધારિત હુમલાઓ પર તાત્કાલિક ધ્યાન આપે. પાકિસ્તાને આ મામલે UN સહિત આંતરરાષ્ટ્રીય સંગઠનોને પણ ઘસડ્યા છે. તેણે માંગ કરી છે કે આ સંસ્થાઓ ભારતમાં ઇસ્લામિક વારસાને સુરક્ષિત રાખવામાં તેમની ભૂમિકા ભજવે અને તમામ લઘુમતીઓના ધાર્મિક તેમજ સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત રાખવા સક્રિય સહયોગ આપે. આ સાથે, પાકિસ્તાને ભારતને મસ્જિદોની સુરક્ષા કરવાની સલાહ પણ આપી છે, જે તેની બેવડી નીતિ અને આંતરિક મામલાઓમાં દખલગીરીના પ્રયાસો દર્શાવે છે.