દેશમાં દર 8 મિનિટે એક બાળક ગુમ! સુપ્રીમ કોર્ટની લાલ આંખ, સરકારને કહ્યું 'આ અત્યંત ગંભીર મુદ્દો'
Supreme Court India Missing Children in India: ભારતમાં દર 8 મિનિટે એક બાળક ગુમ થવાના ચોંકાવનારા આંકડા પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કેન્દ્ર સરકારને દત્તક પ્રક્રિયા સરળ બનાવવા અને ગુમ થયેલા બાળકોના કેસ માટે તાત્કાલિક પગલાં લેવાનો કડક આદેશ આપ્યો છે. જાણો સમગ્ર મામલો.
આ મામલે કેન્દ્ર સરકાર તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ નોડલ અધિકારીઓની નિમણૂક માટે 6 અઠવાડિયાનો સમય માંગ્યો હતો.
Supreme Court Alarmed: ભારતમાં બાળકોના ગુમ થવાના આંકડા એટલા ભયાનક છે કે ખુદ સુપ્રીમ કોર્ટે પણ તેના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. એક રિપોર્ટ અનુસાર, દેશમાં દર 8 મિનિટે એક બાળક ગુમ થાય છે. આ ચોંકાવનારા આંકડા સામે આવ્યા બાદ, સુપ્રીમ કોર્ટે આ મુદ્દાને "અત્યંત ગંભીર" ગણાવ્યો છે અને કેન્દ્ર સરકારને આ મામલે તાત્કાલિક પગલાં લેવા માટે કડક નિર્દેશ આપ્યા છે. મંગળવાર, 18 નવેમ્બરના રોજ થયેલી સુનાવણી દરમિયાન જસ્ટિસ બી. વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે આ મુદ્દા પર સરકારની ઝાટકણી કાઢી હતી.
જટિલ દત્તક પ્રક્રિયા ગેરકાયદે પ્રવૃત્તિને આપે છે પ્રોત્સાહન
સુનાવણી દરમિયાન જસ્ટિસ બી. વી. નાગરત્નાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "મેં સમાચારમાં વાંચ્યું કે ભારતમાં દર 8 મિનિટે એક બાળક ગુમ થાય છે. આ સાચું છે કે નહીં તે મને ખબર નથી, પરંતુ જો આ સાચું હોય તો તે એક ખૂબ જ ગંભીર મુદ્દો છે."
તેમણે વધુમાં ટિપ્પણી કરી કે દેશમાં બાળક દત્તક લેવાની પ્રક્રિયા એટલી જટિલ અને લાંબી છે કે લોકો પરેશાન થઈને બાળકો મેળવવા માટે ગેરકાયદેસર માર્ગો અપનાવે છે. આ જટિલતાને કારણે બાળ તસ્કરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે બાળક દત્તક લેવાની પ્રક્રિયાને તાત્કાલિક ધોરણે સરળ બનાવવી જોઈએ.
આ પહેલા 14 ઑક્ટોબરે પણ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુમ થયેલા બાળકોના કેસ માટે એક-એક નોડલ અધિકારીની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો. આ અધિકારીઓની વિગતો 'મિશન વાત્સલ્ય' પોર્ટલ પર અપડેટ કરવાની હતી.
આ મામલે કેન્દ્ર સરકાર તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ નોડલ અધિકારીઓની નિમણૂક માટે 6 અઠવાડિયાનો સમય માંગ્યો હતો. જોકે, કોર્ટે વધુ સમય આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને કેન્દ્રને 9 ડિસેમ્બર સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાનો કડક આદેશ આપ્યો.
NGOની અરજીએ ખોલી બાળ તસ્કરીની પોલ
આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે 'ગુરિયા સ્વયંસેવક સંસ્થાન' નામની એક NGOએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. NGOએ પોતાની અરજીમાં ગુમ થયેલા અને અપહરણ કરાયેલા બાળકોના વણઉકેલાયેલા કેસો પર પ્રકાશ પાડ્યો હતો. અરજીમાં ઉત્તર પ્રદેશના 5 કેસનો ઉલ્લેખ હતો, જેમાં સગીર બાળકોનું અપહરણ કરી તેમને ઝારખંડ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં વેચી દેવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આ કડક વલણ બાદ એવી આશા છે કે ગુમ થયેલા બાળકોના કેસોના નિકાલમાં ઝડપ આવશે અને દત્તક પ્રક્રિયા સરળ બનશે, જેથી બાળકોનું ભવિષ્ય સુરક્ષિત બની શકે.