GUJARAT ELECTIONS 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે. ગઈકાલે હાર્દિક પટેલની ટીમના પાસના 1500થી વધુ કન્વિનરો ભાજપમાં જોડાયા હતા. તેવી જ રીતે ચૂંટણી પહેલા અમદાવાદમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ઘાટલોડિયા વિધાનસભા બેઠકમાં AAPમાં ભંગાણ થયું છે.
અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, તે ઘાટલોડિયામાં આમ આદમી પાર્ટીના 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ઘાટલોડિયામાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર કેસરિયો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસકાર્યોથી પ્રભાવિત થઈને AAPના કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
તો આ પહેલા રાજકોટના જસદણમાં અમિત શાહ પ્રચાર અર્થે ગયા હતા, તે દરમિયાન કોંગ્રેસ અને આપના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. અમિત શાહની હાજરીમાં કોંગ્રેસ-આપના આગેવાનોએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. એક તરફ પક્ષપલટાની મોસમ અને બીજી બાજુ મેન્ડેટ રદ્દ કરવાની અરજીના કારણે હાલ આમ આદમી પાર્ટીની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.