જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું જમ્મુ કાશ્મીરમાં સંભવિત આગામી ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આવ્યું છે. નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરતા અબ્દુલ્લાએ શુક્રવારે કહ્યું હતું કે નવી પેઢીને જવાબદારી સોંપવાનો સમય આવી ગયો છે.
માર્ગદર્શકની રહેશે ભૂમિકા
આ સાથે તેણે હવે પછી ચૂંટણી નહીં લડવાની પણ જાહેરાત કરી છે. એવી વ્યાપક અટકળો છે કે 85 વર્ષીય અબ્દુલ્લા પક્ષના સંરક્ષકની ભૂમિકા ભજવશે. જ્યારે તેમના પુત્ર અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા હવે પાર્ટીના નવા પ્રમુખ બની શકે છે.
હવે ચૂંટણી નહીં લડે
અબ્દુલ્લાએ સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું, “હું હવે અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડું. આ પદ માટે 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. હવે સમય આવી ગયો છે કે નવી પેઢી આ જવાબદારી નિભાવે.
લોકસભાના સભ્ય અબ્દુલ્લાએ કહ્યું, “પક્ષનો કોઈપણ સભ્ય આ પદ માટે ચૂંટણી લડી શકે છે. આ એક લોકતાંત્રિક પ્રોસેસ છે.
ફારુક અબ્લુલ્લાની સફર
આપને જણાવી દઈએ કે ફારુક અબ્દુલ્લા 1983માં પહેલીવાર નેશનલ કોન્ફરન્સ (NC)ના અધ્યક્ષ બન્યા હતા. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડૉ. ફારૂક અબ્દુલ્લા સાહેબે તેમના સાથીદારોને JKNC પ્રમુખ પદ છોડવાના નિર્ણય વિશે જાણ કરી છે. પક્ષના વરિષ્ઠ સાથીદારોના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, ડૉક્ટર સાહેબ મક્કમ હતા કે તેઓ તેમના નિર્ણયની સમીક્ષા કરશે નહીં.
ક્યારે યોજાઇ શકે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી?
તમને માહિતી માટે જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની તારીખો હજુ ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવી નથી, પરંતુ એવા પૂરતા સંકેતો છે કે ચૂંટણી આવતા વર્ષની શરૂઆતમાં યોજાઈ શકે છે.