Gujarat Assembly Elections 2022: પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, દિગ્ગજોએ રેકોર્ડ મતદાનની કરી અપીલ
Gujarat Assembly Elections 2022: પ્રથમ તબક્કામાં, 14,382 મતદાન મથકો પર મતદાન યોજાશે, જેમાંથી 3,311 કેન્દ્રો શહેરી વિસ્તારોમાં છે, અને બાકીના 11,071 મતદાન મથકો ગ્રામીણ વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.
Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો પર આજે મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું, જે સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. આજે 788 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થશે. પ્રથમ તબક્કામાં 339 અપક્ષો મેદાનમાં છે. 2017ની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠકોમાંથી ભાજપે 48 બેઠકો જીતી હતી. કોંગ્રેસને 40 બેઠકો મળી હતી. જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે અને પરિણામ 8 ડિસેમ્બરે આવશે.
પ્રધાનમંત્રી મોદીએ વોટીંગ કરી અપીલ દેશના વડાપ્રધાન મોદીએ લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, આજે ગુજરાતની ચૂંટણીનો પ્રથમ તબક્કો છે. આજે મતદાન કરનારા તમામ લોકોને, ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનારાઓને હું રેકોર્ડ સંખ્યામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરું છું.
વિકાસની યાત્રા ચાલુ રાખવા મત આપોઃ અમિત શાહ ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા અમિત શાહે મતદારોને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે ગુજરાત છેલ્લા બે દાયકામાં વિકાસ અને શાંતિનો પર્યાય બની ગયું છે. જેના પર દરેક ભારતીયને ગર્વ છે. પરંતુ ગુજરાતની જનતાએ ચૂંટેલી મજબૂત સરકારને કારણે આ શક્ય બન્યું છે. હું પ્રથમ તબક્કાના મતદારોને અપીલ કરું છું કે વિકાસની આ યાત્રા ચાલુ રાખવા માટે અભૂતપૂર્વ ઉત્સાહ અને સંખ્યા સાથે મતદાન કરો.
ગુજરાતના પ્રગતિશીલ ભવિષ્ય માટે મત આપો: રાહુલ ગાંધી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લોકોને વોટ કરવાની અપીલ કરી છે. તેમણે ગુજરાતના તમામ ભાઈ-બહેનોને મતદાન કરવા અપીલ કરી છે. રોજગાર માટે, સસ્તા ગેસ સિલિન્ડર માટે, ખેડૂતોની લોન માફી માટે મત આપો. ગુજરાતના પ્રગતિશીલ ભવિષ્ય માટે મોટી સંખ્યામાં મતદાન કરી લોકશાહીના આ પર્વને સફળ બનાવો.
રૂપાણીએ કર્યો દાવો - ફરી ભાજપની સરકાર બનવા જઈ રહી છે ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે હું લોકોને વોટ કરવાની અપીલ કરું છું. લોકશાહીના રક્ષણ માટે મતદાન જરૂરી છે. મને ખાતરી છે કે ગુજરાતમાં સાતમી વખત ભાજપની સરકાર બનવા જઈ રહી છે. લોકોમાં પીએમ મોદી પ્રત્યે પ્રેમ અને સન્માન છે, તેઓ બીજે ક્યાંય નહીં જાય.
ભાજપ મોટા માર્જિનથી જીતશે - રીવાબા જાડેજા મતદાન કર્યા બાદ ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજાએ કહ્યું કે કોઈ સમસ્યા નથી. એક જ પરિવારમાં અલગ અલગ વિચારધારાના લોકો હોઈ શકે છે. મને જામનગરની જનતા પર વિશ્વાસ છે. અમે સર્વાંગી વિકાસ પર ધ્યાન આપીશું અને આ વખતે પણ ભાજપ સારા માર્જિનથી જીતશે.