વિનાયક દામોદર સાવરકર પર રાહુલ ગાંધીના તાજેતરના નિવેદનને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. દરમિયાન, હિન્દુત્વ વિચારકના પૌત્ર રણજિત સાવરકરે મંગળવારે કહ્યું કે કેટલાક કોંગ્રેસીઓ પણ વીર સાવરકરની બદનક્ષીથી ખુશ નથી. ગાંધી પરિવારને ચેતવણી આપતા રણજિત સાવરકરે કહ્યું કે, "જો રાહુલ ગાંધી સાવરકર પરના તેમના નિવેદન બદલ માફી નહીં માંગે તો હું તેમની સામે એફઆઈઆર નોંધાવીશ."
ગુજરાતના સુરતની એક અદાલતે 2019ના માનહાનિના કેસમાં દોષી ઠેરવ્યાના એક દિવસ બાદ શુક્રવારે રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. પોતાની અયોગ્યતા અંગે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું હતું કે, મારું નામ સાવરકર નથી, મારું નામ ગાંધી છે અને ગાંધી કોઈની માફી માગતા નથી.
દિવંગત હિંદુત્વ વિચારક વીડી સાવરકરના પૌત્રે પણ રાહુલ ગાંધી સામે તેમના નિવેદન બદલ કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને કોંગ્રેસ નેતાને એવા દસ્તાવેજો બતાવવા પડકાર ફેંક્યો હતો જે સાબિત કરે છે કે તેણે અંગ્રેજોની માફી માંગી છે.
આવા નિવેદનોને બાલિશ ગણાવતા સાવરકરના પૌત્ર રણજિત સાવરકરે સોમવારે કહ્યું હતું કે, "રાહુલ ગાંધી કહી રહ્યા છે કે તેઓ માફી નહીં માંગે, કારણ કે તેઓ સાવરકર નથી. હું તેમને સાવરકરની માફી માગવાના દસ્તાવેજો બતાવવા પડકાર ફેંકું છું."
સાવરકરે કહ્યું, “રાજનીતિને પ્રોત્સાહન આપવા માટે દેશભક્તોના નામનો ઉપયોગ કરવો ખોટું અને નિંદનીય છે. આના પર કાર્યવાહી થવી જોઈએ".