Trump tariff India GDP: ટ્રમ્પના ટેરિફથી ભારતની GDPને નુકસાનનો અંદાજ, 19 દિવસમાં શું કરી શકે ભારત? | Moneycontrol Gujarati
Get App

Trump tariff India GDP: ટ્રમ્પના ટેરિફથી ભારતની GDPને નુકસાનનો અંદાજ, 19 દિવસમાં શું કરી શકે ભારત?

Trump tariff India GDP: આ મહિને ચીનમાં યોજાનારા શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ પર નજર છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીથી ભારત-રશિયા-ચીન ત્રિપક્ષીય વાતચીતની શક્યતાઓ ઉભી થઈ શકે છે. જોકે, ભારતનું ચીન-પ્લસ-વન મોડલ હજુ પણ રોકાણકારો માટે આકર્ષક છે, પરંતુ વિયેતનામ જેવા દેશોની સ્પર્ધાને અવગણી શકાય નહીં.

અપડેટેડ 10:41:00 AM Aug 08, 2025 પર
Story continues below Advertisement
બ્લૂમબર્ગ ઇકોનોમિક્સના અંદાજ મુજબ, આ ટેરિફથી ભારતના અમેરિકા સાથેના નિકાસમાં 60% સુધીનો ઘટાડો થઈ શકે છે, જેની અસર GDP પર પડશે.

Trump tariff India GDP: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% વધારાના ટેરિફની જાહેરાત કરી છે, જેનાથી ભારતીય માલ પર કુલ ટેરિફ 50% સુધી પહોંચી ગયો છે. આ નિર્ણય ભારતના રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીને કારણે લેવાયો છે, જેને ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધને પ્રોત્સાહન આપનારું ગણાવ્યું છે. આ ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ થશે, એટલે કે ભારત પાસે આ સંકટનો સામનો કરવા માટે માત્ર 19 દિવસનો સમય છે. આ નિર્ણયથી ભારત અમેરિકાના સૌથી વધુ ટેરિફનો સામનો કરનાર એશિયાઈ દેશ બની ગયો છે. નિષ્ણાતોનું માનવું છે કે આનાથી ભારતના GDPમાં 1% સુધીનું નુકસાન થઈ શકે છે.

ટેરિફનું કારણ અને ભારતની સ્થિતિ

ટ્રમ્પે જણાવ્યું કે ભારત રશિયા પાસેથી તેલની ખરીદી કરીને યુક્રેન યુદ્ધને આર્થિક રીતે ટેકો આપી રહ્યું છે. આ પહેલાં પણ અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લગાવ્યો હતો, જે 7 ઓગસ્ટથી લાગુ થઈ ગયો છે. હવે વધારાના 25% ટેરિફથી ભારત-અમેરિકા વેપાર સંબંધોમાં તણાવ વધ્યો છે. ભારતે આ નિર્ણયને "અન્યાયી અને અવ્યવહારિક" ગણાવ્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું, "આપણું તેલ આયાત બજારની સ્થિતિ અને રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને થાય છે. અમેરિકાએ ભારતને નિશાન બનાવ્યું તે દુર્ભાગ્યપૂર્ણ છે, જ્યારે અન્ય ઘણા દેશો પણ રશિયા સાથે વેપાર કરે છે." ભારતે એ પણ યાદ અપાવ્યું કે 2022માં યુક્રેન સંકટ શરૂ થયું ત્યારે અમેરિકાએ જ ભારતને રશિયાથી તેલ ખરીદવા માટે પ્રોત્સાહન આપ્યું હતું જેથી ગ્લોબલ ઓઇલના ભાવ સ્થિર રહે.

આર્થિક અસર: GDPમાં 1%નું નુકસાન


બ્લૂમબર્ગ ઇકોનોમિક્સના અંદાજ મુજબ, આ ટેરિફથી ભારતના અમેરિકા સાથેના નિકાસમાં 60% સુધીનો ઘટાડો થઈ શકે છે, જેની અસર GDP પર પડશે. ભારતીય રિઝર્વ બેંકે વર્ષ 2026 માટે 6.5%ના વિકાસ દરનો અંદાજ આપ્યો છે, પરંતુ HDFC બેંકના અર્થશાસ્ત્રી સાક્ષી ગુપ્તાએ ચેતવણી આપી છે કે જો કોઈ સમજૂતી નહીં થાય તો GDP ગ્રોથ 6%થી નીચે જઈ શકે છે.

2024માં ભારતે અમેરિકાને 87 બિલિયન ડોલરની નિકાસ કરી હતી, જે તેનું સૌથી મોટું નિકાસ બજાર છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવ (GTRI)ના જણાવ્યા મુજબ, આ ટેરિફથી નિકાસમાં 40-50%નો ઘટાડો થઈ શકે છે. ખાસ કરીને ટેક્સટાઇલ, રત્ન અને આભૂષણ, ઓટો પાર્ટ્સ, સીફૂડ અને ચામડાના ઉદ્યોગોને ભારે નુકસાન થશે. ભારતીય નિકાસ સંગઠન મહાસંઘ (FIEO)એ આ નિર્ણયને "ચોંકાવનારો" ગણાવ્યો અને જણાવ્યું કે તે ભારતની 55% નિકાસને અસર કરશે.

ટેક્સટાઇલ અને જ્વેલરી સેક્ટર પર ભારે આઘાત

ભારતના ટેક્સટાઇલ અને જ્વેલરી નિકાસકારો ઓછા માર્જિનમાં કામ કરે છે, અને આ ટેરિફ તેમના માટે ભારે હાનિકારક છે. કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી (CITI)ના રાકેશ મેહરાએ જણાવ્યું, "આ ટેરિફથી અમેરિકી બજારમાં સ્પર્ધા કરવી લગભગ અશક્ય બની જશે." જોકે ઇલેક્ટ્રોનિક્સ અને ફાર્મા પ્રોડક્ટ્સને હાલ ટેરિફમાંથી રાહત આપવામાં આવી છે, પરંતુ આ રાહત અસ્થાયી હોઈ શકે છે.

ભારતના વિકલ્પો અને રણનીતિ

ભારત પાસે આ સંકટનો સામનો કરવા માટે કેટલાક ઓપ્શન છે, જેમાં રશિયાથી તેલ આયાતમાં ઘટાડો કરવો, ભારત રશિયાથી દરરોજ 1.75 મિલિયન બેરલ તેલ આયાત કરે છે, જે તેની કુલ તેલ જરૂરિયાતના 39% છે. આ આયાત ઘટાડવાથી ટેરિફ ટાળી શકાય, પરંતુ તે ઊર્જા સુરક્ષા માટે જોખમી છે. રશિયા ભારતને સસ્તા દરે તેલ આપે છે, જેનાથી ગ્લોબલ ઓઇલના ભાવ સ્થિર રહે છે. તો સાથે ભારત અને અમેરિકા ટ્રેડ ડીલ પર ચર્ચા કરી રહ્યા છે. 25 ઓગસ્ટે નવી દિલ્હીમાં યોજાનારી બેઠકમાં ભારત ઔદ્યોગિક માલ પર શૂન્ય ટેરિફ અથવા કાર અને શરાબ પર ટેરિફ ઘટાડવાની રાહત આપી શકે છે. જોકે, ખેતી અને ડેરી સેક્ટર ખોલવું રાજકીય રીતે સંવેદનશીલ છે. તો, ભારત યુરોપિયન યુનિયન, દક્ષિણપૂર્વ એશિયા અથવા મધ્ય પૂર્વ જેવા નવા બજારો શોધી શકે છે, પરંતુ અમેરિકા જેવું મોટું બજાર બદલવું સરળ નથી. ભારત અમેરિકી માલ, જેમ કે તેલ, ગેસ અને એરોસ્પેસ પ્રોડક્ટ્સ પર જવાબી ટેરિફ લગાવી શકે છે. જોકે, નિષ્ણાતોની સલાહ છે કે ભારતે ઓછામાં ઓછા છ મહિના સુધી જવાબી કાર્યવાહીથી બચવું જોઈએ. ભારત રશિયા સાથેની મજબૂત કૂટનીતિનો ઉપયોગ કરી શકે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ હાલ મોસ્કોમાં છે અને રશિયા-યુક્રેન શાંતિ વાટાઘાટોમાં ભારતની ભૂમિકા પર ચર્ચા કરી રહ્યા છે.

શું ભારત રશિયા અને ચીનની નજીક જશે?

આ મહિને ચીનમાં યોજાનારા શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ પર નજર છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીથી ભારત-રશિયા-ચીન ત્રિપક્ષીય વાતચીતની શક્યતાઓ ઉભી થઈ શકે છે. જોકે, ભારતનું ચીન-પ્લસ-વન મોડલ હજુ પણ રોકાણકારો માટે આકર્ષક છે, પરંતુ વિયેતનામ જેવા દેશોની સ્પર્ધાને અવગણી શકાય નહીં.

ભારતની રણનીતિ: શાંત અને સંતુલિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું, "ખેડૂતો, માછીમારો અને ડેરી સેક્ટરના હિતો અમારી પ્રાથમિકતા છે." ભૂતપૂર્વ વિદેશ રાજ્ય મંત્રી એમજે અકબરે ટ્રમ્પની નીતિને "અસ્થિર" ગણાવી, જ્યારે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે અમેરિકા પર બેવડા માપદંડનો આરોપ લગાવ્યો, કારણ કે અમેરિકા અને યુરોપિયન યુનિયન પણ રશિયાથી યુરેનિયમ અને ખાતર જેવી ચીજોની આયાત કરે છે.

ટ્રમ્પના ટેરિફથી ભારતની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી શકે છે, પરંતુ ભારત પાસે કૂટનીતિ, વેપાર વાટાઘાટો અને રણનીતિક નિર્ણયો દ્વારા આ સંકટનો સામનો કરવાની તક છે. આગામી 20 દિવસ ભારત માટે નિર્ણાયક છે, અને વિશ્વની નજર ભારતની રણનીતિ પર રહેશે.

આ પણ વાંચો-LIC Q1 Results: સરકારી કંપનીએ રુપિયા 10987 કરોડનો કર્યો નફો, પ્રીમિયમ આવકમાં પણ વધારો; સ્ટોક રહેશે ફોકસમાં

MoneyControl News

MoneyControl News

First Published: Aug 08, 2025 10:41 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.