ઘણા દેશો પોતાના નાગરિકોને દ્વિ-રાષ્ટ્રીયતા સ્વીકારવાની મંજૂરી આપે છે. પરંતુ ભારતમાં એમ નથી. ભારતીય નાગરિકે અન્ય દેશમાં જઈને વસવાટ કર્યો હોય અને તેને ત્યાંની નાગરિકતા જોઈતી હોય તો ભારતનું નાગરિકત્વ જતું કરવું પડે છે. હાલમાં જ વિદેશમાં વસેલા ભારતીય નાગરિકોને દ્વિ-રાષ્ટ્રીયતા આપવા અંગે વિદેશ મંત્રી એસ. જયશંકરે વાત કરી હતી. શુક્રવારે વિદેશ મંત્રીએ જણાવ્યું કે, વિદેશમાં રહેતા ભારતીયોને બેવડી નાગરિકતા આપવામાં ઘણી જટિલતા છે. ચેન્નાઈમાં ભારતીય ઉદ્યોગ સંઘ (CII) આયોજિત 20મી યંગ ઈન્ડિયન્સ નેશનલ સમિટ 'ટેકપ્રાઈડ 2023'માં ઉદ્યોગ સાહસિકો સાથેના સંવાદમાં એસ. જયશંકરે બેવડી નાગરિકતાના મુદ્દે ટિપ્પણી કરી હતી.

